સંજોગ (યશગાથા ગુજરાતની)

24 મે 2022By Vandana Patel
સંજોગ (યશગાથા ગુજરાતની) ગુજરાતનો કચ્છ વિસ્તાર આજે 'સફેદ રણ'થી ઓળખાય છે. ધરતીકંપ પછી કચ્છની રોનક વધી ગઈ છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતો મહંતો આશીર્વાદ તથા સહયોગથી કચ્છની એક આગવી ઓળખ ઊભી થઈ છે. કચ્છમાં માતાનો મઢ, જેસલ-તોરલની સમાધિ, નારાયણ સરોવર, માંડવીનો દરિયાકિનારો, રાજાનો મહેલ, હમીદસર તળાવ, કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર વગેરે જેવા ઘણાં ઘણાં સ્થળો જોવા જેવા છે. વીર જગડૂશા 'ભામાશા'ની ભૂમિ તરીકે ઓળખાતો આ પ્રદેશ ભદ્રેશ્વર (મહાવીર સ્વામી)મંદિરથી શોભાયમાન ગુજરાતનું ગૌરવ ગણાય છે. અહીં પારલે અને અદાણી જેવા ખ્યાતનામ ઔદ્યોગિક એકમો છે.******** કચ્છમાં એક નાનકડું નલિયા નામનું ગામ આવેલું છે. આ નલિયાની શેરીઓમાં આજે બાળકો ધ્વજ લઈને રેલીમાં નીકળ્યા છે. બાળકો રેલી પુરી કરી શાળાએ પહોંચ્યા.બાળકોમાં એક તેજસ્વી છોકરી કૃપાલી પોતાની આગેવાની હેઠળ સમુહ નૃત્ય પ્રદર્શિત કરી રહી હતી. દેશપ્રેમ છલકાવતું ગીત સાંભળીને સૌ કોઈ ઝૂમી રહ્યા હતા. શાળા તરફથી સૌને પેંડા વહેંચવામાં આવી રહ્યા હતા. આજે છવ્વીસ જાન્યુઆરી, બે હજાર એક.....ધરતી ધ્રુજી, લાકડીની મદદથી ઊભુ કરેલું સ્ટેજ કડડડભૂસ.....કોઈને કંઈ જ ખબર ન પડી કે અચાનક શું થઈ ગયું? સમગ્ર કચ્છ ભૂજ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. સૌ કોઈ ડરી ગયા હતા. શાળામાં અને સમગ્ર કચ્છમાં અફડાતફડી, આંખોમાંથી આંસુઓનો રેલા, પોતાના સ્વજનોની ચિંતા, કુદરતને ફરિયાદ......આ બધાનું એક જ નામ ધરતીકંપ!!! કૃપાલી સાથે ઘણાં બાળકો દટાઈ ગયા. કૃપાલીના ઘરે કૃપાલીનાં દાદા નાનો ભાઈ અને મમ્મીએ પ્રાણ ગુમાવી દીધા હતા. કૃપાલીના દાદી અને પપ્પાએ કૃપાલીને શોધવાની ખૂબ કોશિશ કરી, પણ ન મળી. કૃપાલી બેભાન હોવાથી એક ભાઈએ પોતાની પાસે સુરક્ષિત જગ્યાએ સુવડાવી દીધી હતી. તેઓ શાળાના કામથી અંજારથી નલિયા આવ્યા હતા.. આ ભાઈનું નામ ઉસ્માનભાઈ હતું. ઘણો સમય વીતી ગયો. ઉસ્માનભાઈ નલિયાથી અંજાર આવવા નીકળ્યા હતા. ઉસ્માનભાઈએ કૃપાલીને પોતાની સાથે જ સાથે રાખી હતી. ઉસ્માનભાઈ અને કૃપાલી અંજાર પહોંચ્યા. ઉસ્માનભાઈ પોતાના પરિવારને હેમખેમ જોઈને રાજી થયા. સમગ્ર ગુજરાતમાં હાહાકાર હતો કે કુદરતે કેવો કાળો કેર વર્તાવ્યો! બધી જગ્યાએથી દાન આવવાના ચાલુ થઈ ગયા હતા. તૈયાર ગાઠિયા બુંદી, બિસ્કિટ, બ્રેડ, દાળિયા શીંગ વગેરે આવવા લાગ્યા હતા. ઉસ્માનભાઈ તથા તેઓનો પરિવાર આ મદદ મેળવીને જીવતો હતો. તેઓનો પરિવાર કપડાં દવા વગેરે પણ મેળવતાં હતાં. નાત-જાતનાં કોઈ ભેદભાવ ન હતાં. કૃપાલી પણ ઉસ્માનભાઈના પરિવાર જોડે જ રહેતી હતી. કૃપાલીને પોતાનું ઘર યાદ આવતું હતું. ઉસ્માનભાઈએ તપાસ કરાવી હતી, પણ કૃપાલીનાં દાદી અને પપ્પાના ક્યાંય કોઈ સમાચાર ન મળ્યા. કૃપાલીનાં દાદા, નાનોભાઈ અને મમ્મી મૃત્યુ પામ્યા, એ સમાચાર મળી ગયા હતા. ઉસ્માનભાઈ પરિવારને લઈને અમદાવાદ આવી ગયા હતા. કૃપાલી પોતાના નવા ભાઈ બહેન સાથે હળી-મળી ગઈ હતી. જુન મહિનામાં વેકેશન ખુલી ગયા. ઉસ્માનભાઈના બાળકો શાળાએ જવા લાગ્યા હતા. કૃપાલી પણ શાળાએ જતી હતી. ચૌદ વર્ષની કૃપાલી નાના ભાઈ-બહેનનું ધ્યાન રાખતી હતી. ઉસ્માનભાઈનો ધંધો સરસ ચાલતો હતો. *******i સતાવીસ ફેબ્રુઆરી, બે હજાર બે..... ટ્રેન સળગીગઈ. આ દિવસના બનાવને નામ અપાયું હતુ - ગોધરાકાંડ. એ પછી આખા અમદાવાદમાં છૂટાછવાયાં દંગા-ફસાદ અને તોફાનો ફાટી નીકળ્યા હતાં. ક્યારેક અમુક વિસ્તારમાં કર્ફ્યુ લાગતું તો ક્યારેક આખા અમદાવાદમાં રહેતું. ઉસ્માનભાઈ એકવાર દુકાને હતા, કૃપાલી નાના ભાઈ-બહેન જોડે રમતી હતી. અચાનક જ હિંદુઓનું ટોળું આવી ચડયું, હિંદુઓએ મુસ્લિમ છોકરાઓને મારવાની કોશિશ કરી તો કૃપાલીએ કહ્યુ કે હું એક વરસ અને એક મહિનાથી આ પરિવાર જોડે રહું છું. ધરતીકંપના દિવસે ઉસ્માનભાઈએ મારો જીવ બચાવ્યો, એટલું જ નહીં, મારું રક્ષણ કર્યુ, મને અત્યારે શિક્ષણ પણ અપાવે છે. આ મારા ભાઈ બહેન છે. હિંદુઓનું ટોળું જતું રહ્યુ. બધા બાળકો પાછા રમવા લાગ્યા. કૃપાલી બીજે દિવસે પોતાની સહેલીના ઘરે નોટ લેવા ગઈ. એ સહેલી બાજુમાં જ રહેતી હતી. બંને સહેલીઓ વાતો કરતી બેઠી હતી. ત્યાં તો કૃપાલીનો નાનો ભાઈ દોડતો દોડતો આવ્યો .... આપા....આપા....અમ્મીને... અમ્મીને... કૃપાલી દોડતી દોડતી ઘરે આવી. જોયુ તો.......આજે બીજું એક નવું હિંદુઓનું ટોળું ધસી આવ્યું હતું. કૃપાલીએ આ ટોળામાં પપ્પાને જોયા. કૃપાલી પપ્પા.....પપ્પા.....કહેતી ત્યાં જ ફસડાઈ પડી. કેવી કરુણતા.....કેવી વિવશતા....ધરતીકંપની પરિસ્થિતિમાંથી ઉગરી ન શક્યા, સ્વજનોને ગુમાવ્યા પછી બીજાને પોતાના સ્વજનોથી વિખુટાં પાડવા ચાલી નીકળ્યા. ધરતીકંપ કુદરતી હોનારત હતી, એમાં માનવી લાચાર બની શકે. આ કોમી રમખાણ માનવનિર્મિત છે, એમાં માનવી લાચાર કેવી રીતે હોઈ શકે? ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતાના એકતા જાળવતો દેશ કોમી રમખાણો ભોગ બને એનાથી વધારે શરમજનક શું હોઈ શકે? કૃપાલીને ઉપરાપર બનેલી બે અગમ્ય, અસહનીય, અકથનીય ઘટનાઓએ હચમચાવી નાખી. કૃપાલીએ કુમળી વયે જે જોયુ, એ આખી જીંદગી નહીં ભૂલી શકે. કૃપાલીના જીવન પર બંને ઘટનાઓએ અમીટ છાપ છોડી. 

(This is a placeholder for the full story content. In the real app, this would be much longer.)

Thanks for reading!